(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.૦૭
રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કોવિડ- ૧૯ મહામારીના સમગગાળા દરમિયાન અનાથ બનેલા બાળકોને આર્થિક સહાયના રૂપે મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત રાજયના અનાથ બાળકોને ડી. બી. ટી. ના માધ્યમથી પ્રતિ બાળક દીઠ રૂ. ૪૦૦૦/- ની સહાય કરી હતી, જેનો આજરોજ વર્ચ્યુઅલ કાર્યક્રમ યોજાયો હતો.
કોવિડ- ૧૯ મહામારીમાં રાજયના જે બાળકોના માતા અને પિતા બંન્નેનું અવસાન થયેલ છે આવા બાળકોના ભરણપોષણ, શિક્ષણ, આરોગ્ય અને સ્વરોજગારી માટે તાલીમ, લોન અને સહાય આપવા માટે રાજયના સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી દ્વારા બાળ સેવા યોજનાની શરૂઆત કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત ૦ થી ૧૮ વર્ષ સુધીના જે બાળકોના માતા અને પિતા બંન્નેનું કોરોના દરમિયાન અવસાન થયું હોય તેવા બાળકોને રાજયના સામાજિક અને ન્યાય અધિકારિતા વિભાગ દ્વારા બાળકના પાલક માતા- પિતાને આ યોજના અંતર્ગત આર્થિક સહાય પેટે માસિક રૂ. ૪૦૦૦/- ની સહાય દર માસે ડી. બી. ટી. ના માધ્યમથી કરવામાં આવશે. ત્યારબાદ જા બાળક વધુ અભ્યાસ ચાલુ રાખશે તો તેમનો અભ્યાસ પૂર્ણ થાય અથવા ૨૪ વર્ષની ઉંમર પૂરી થાય ત્યાં સુધી તેમને આફટર કેર યોજના હેઠળ લાભ આપવામાં આવશે. આ ઉપરાંત તેમને મળવાપાત્ર સરકારશ્રીની વિવિધ યોજનાઅોનો લાભ પણ આવા બાળકોને આપવામાં આવશે.
આ અવસરે વલસાડ કલેકટર કચેરી ખાતે વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી અલકાબેન શાહ, વલસાડના સાંસદશ્રી ર્ડા. કે. સી. પટેલ, પારડીના ધારાસભ્યશ્રી કનુભાઇ દેસાઇ, કલેકટરશ્રી ક્ષિપ્રા અગ્રે, વલસાડ જિલ્લા બાળ કલ્યાણ સમિતિના અધ્યક્ષ શ્રીમતી સોનલબેન સોલંકીઍ વલસાડ જિલ્લાના અનાથ થયેલા ૨૬ બાળકોને ડી.બી.ટી.ના માધ્યમથી પેમેન્ટ રૂપે બાળક દીઠ રૂ. ૪૦૦૦/- ની સહાય અને શૈક્ષણિક કીટનું વિતરણ કર્યુ હતું.
આ પ્રસંગે જિલ્લા બાળ કલ્યાણ સમિતિના સભ્યો, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી જસ્મીન પંચાલ, તેમજ બાળ સુરક્ષા વિભાગના કર્મચારીઅો હાજર રહયા હતા.