-
સંઘપ્રદેશનાપ્રશાસક પ્રફુલભાઈ પટેલ નરોલીની પૃથ્વીરાજ ચૌહાણ સરકારી શાળામાં પહેલા ધોરણના બાળકોને વર્ગખંડમાં પ્રવેશ કરાવશે
-
પ્રશાસક પ્રફુલભાઈ પટેલની પહેલથી પહેલા ધોરણના બાળકોના પ્રવેશોત્સવની 2017થી શરૂ થયેલી પરંપરાએ પ્રદેશમાં શિક્ષણ ક્ષેત્રે સર કરેલા નવા સોપાનો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.18 : આવતી કાલે દાદરા નગર હવેલીની તમામ સરકારી શાળાઓમાં પ્રિ-પ્રાઈમરી અને પહેલા ધોરણમાં પ્રવેશ લેતા બાળકોના પ્રવેશોત્સવનું આયોજન પ્રશાસન દ્વારા કરવામાં આવ્યું છે. જે કડીમાં આવતી કાલે સાંજે 4:30 વાગ્યે દાદરા નગર હવેલીના નરોલી ખાતે નવનિર્મિત પૃથ્વીરાજ ચૌહાણ સરકારી વિદ્યાલયમાં સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રિ-પ્રાઈમરી અને પહેલા ધોરણમાં પ્રવેશ લીધેલ બાળકોને ઢોલ-નગારા સાથે વર્ગ પ્રવેશ કરાવવામાં આવશે.
અત્રે યાદ રહે કે, સંઘપ્રદેશના પ્રશાસક તરીકે શ્રી પ્રફુલભાઈ પટેલના આગમન બાદ તેમણે 2017ના વર્ષથી પહેલા ધોરણમાં પ્રવેશ લેતા બાળકોના શાન-સન્માનના કાર્યક્રમનું આયોજન અવિરત ચાલી રહ્યું છે. જેના કારણે શાળાના પર્યાવરણ સાથે પહેલી વખત જોડાતા બાળકોને પોતે વિશેષ હોવાની લાગણી થવા સાથે બાળકોના વાલીઓને પણ પોતાના સંતાનનું ભવિષ્ય સરકારીશાળામાં સલામત હોવાની લાગણી જન્મી રહી છે. જેના કારણે છેલ્લા 7 વર્ષથી પ્રદેશની સરકારી શાળાઓમાં પ્રવેશ લેવાનું ચલણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની પહેલથી દર વર્ષે સરકારી શાળાના દરેક બાળકોને બે જોડી શાળા ગણવેશ, સ્કૂલ બેગ, નોટબૂક, ડ્રોઈંગ બૂક, બૂટ-મોજાં, કંપાસબોક્સ સહિતની દરેક પ્રકારની શૈક્ષણિક સાધન-સામગ્રી મફત આપવામાં આવે છે અને ધોરણ 8માં પ્રવેશતી કન્યા વિદ્યાર્થીનીઓને સરસ્વતી યોજના અંતર્ગત મફત સાયકલ પણ આપવામાં આવે છે.
આવતી કાલે દાદરા નગર હવેલી જિલ્લાની અલગ અલગ વિવિધ શાળાઓમાં સંઘપ્રદેશ પ્રશાસનના આઈ.એ.એસ., આઈ.પી.એસ., દાનિક્સ સહિતના ઉચ્ચ અધિકારીઓ પૂર્વ પ્રાથમિક અને પહેલા ધોરણમાં બાળકોને પ્રવેશ કરાવશે. સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની પહેલથી પહેલા ધોરણના બાળકોના પ્રવેશોત્સવની શરૂ થયેલી પરંપરાએ પ્રદેશમાં શિક્ષણ ક્ષેત્રે એક નવું સોપાન સર કર્યું છે.