અષ્ટ સિદ્ધિનો સંસ્કૃતમાં શ્લોક આ પ્રમાણે છે.
અણિમા મહિમા ચૈવ લઘિમા ગરિમા તથા,
પ્રાપ્તિઃ પ્રાકામ્યમીશિત્વં વશિત્વં ચાષ્ટ સિદ્ધયઃ
અણિમા, મહિમા, લઘિમા, ગરિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઇશિત્વ અને વશિત્વ એ સિદ્ધિઓ અષ્ટ સિદ્ધિ કહેવાય છે.
(ભાગ-01)
સંઘપ્રદેશના પ્રશાસક તરીકે શ્રી પ્રફુલભાઈ પટેલે અખત્યાર સંભાળ્યાના આઠ વર્ષ આગામી 29મી ઓગસ્ટના રોજ પૂર્ણ થઈ રહ્યા છે. છેલ્લા આઠ વર્ષમાં સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવે સિદ્ધિના અનેક સોપાનો સર કર્યા છે. દાદરા નગર હવેલી અને દમણ-દીવના લોકોની કલ્પનામાં પણ નહીં હતા એવા વિકાસના કામો છેલ્લા આઠ વર્ષમાં થયા છે. જેનો કોઈ ઈન્કાર કરી શકે એમ નથી. સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે 29મી ઓગસ્ટ, 2016ના રોજ અખત્યાર સંભાળ્યો ત્યાર પછીના 4 દિવસ બાદ 3 સપ્ટેમ્બર, 2016ના રોજ ‘વર્તમાન પ્રવાહ’ની સ્પેશિયલ કોમેન્ટ કોલમમાં પ્રસિદ્ધ થયેલ લેખ આજે અહીં અક્ષરશઃ પુનઃ પ્રગટ કરીએ છીએ. 3 સપ્ટેમ્બર, 2016ના રોજ ‘વર્તમાન પ્રવાહે’ લખ્યું હતું કે દમણ-દીવના ઇતિહાસે કરવટ બદલવાની શરૂઆત કરી છે જે આજે સંપૂર્ણ સાચી સાબિત થઈ છે.
આજથી અમારી અનુકૂળતાએ સંઘપ્રદેશના પ્રશાસક તરીકે શ્રી પ્રફુલભાઈ પટેલે પ્રદેશના આત્મસન્માન અને સર્વાંગી વિકાસ માટે કરેલા કામો તથાપ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રદેશ પ્રત્યેની અમીદૃષ્ટિથી અસંભવ દેખાતા કામો પણ સંભવ બન્યા છે તેનું વર્ણન સંઘપ્રદેશની અષ્ટસિદ્ધિના 8 વર્ષઃ નવ નિધિના ‘નમો’ દાતા કોલમમાં ક્રમશઃ કરવા જઈ રહ્યા છીએ. જેની તમામ વાંચકોએ નોંધ લેવી.
દેશના સર્વોચ્ચ નેતૃત્વ સાથે મુલાકાત કરી પ્રશાસક પ્રફુલભાઈ પટેલે પોતાની પ્રતિભા અને સામર્થ્યના કરાવેલા દર્શન
દમણ-દીવના ઈતિહાસે કરવટ બદલવાની કરેલી શરૂઆત
વિધાનસભા નહીં ધરાવતા કેન્દ્રશાસિત પ્રદેશોમાં પ્રશાસક-ઉપ રાજ્યપાલે મુખ્યમંત્રી, ગૃહમંત્રી તથા પ્રદેશના વડા તરીકેની ત્રિવિધ ભૂમિકા ભજવી કોમનમેનને કેન્દ્રમાં રાખવો પડે છે
સંઘપ્રદેશ દમણ અને દીવના ઇતિહાસે કરવટ બદલવાની શરૂઆત કરી દીધી હોય એવું ચિત્ર પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના આગમન બાદ ઉપસી આવ્યું છે. શ્રી પ્રફુલભાઈ પટેલે પ્રશાસક તરીકે 29મી ઓગસ્ટે પદભાર સંભાળ્યાના ગણતરીના 4 દિવસોની અંદર રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખરજી, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, ગૃહ મંત્રી શ્રી રાજનાથ સિંઘ, ગૃહરાજ્ય મંત્રી શ્રી કિરણ રિજીજુ, શ્રી હંસરાજ અહિર, કેન્દ્રીય ગૃહ સચિવ શ્રી રાજીવ મહર્ષિ, વડાપ્રધાન કાર્યાલયના એડીશનલ પ્રિન્સીપલ સેક્રેટરી શ્રી પી.કે.મિશ્રા, સંયુક્ત ગૃહ સચિવ શ્રી હિતેશ મકવાણા તેમજ ગુજરાતના રાજ્યપાલ શ્રી ઓ.પી.કોહલી સાથેમુલાકાત કરી પોતાની પ્રતિભા અને સામર્થ્યના દર્શન કરાવ્યા છે.
સંઘપ્રદેશ દમણ-દીવ અને દાદરા નગર હવેલીમાં અત્યાર સુધી એકજ આઈ.એ.એસ. પ્રશાસક દ્વારા વહીવટ કરાતો હતો. 1992 સુધી ગોવાના રાજ્યપાલને દમણ-દીવ અને દાદરા નગર હવેલીના પ્રશાસક તરીકેનો વધારાનો કાર્યભાર સોંપવામાં આવતો હતો. પ્રશાસક તરીકે આઈ.એ.એસ. ઓફિસરોની ઘણી મર્યાદાઓ હોય છે. તેઓ પ્રજાની વચ્ચે જઈને ભળી શકતા નથી જેના કારણે મોટાભાગે તેમની યોજનાઓમાં પ્રજાના પ્રશ્નોનું પ્રતિબિંબ પડતું નથી, તેઓ એક નિヘતિ ઢાંચાની અંદર જ કેદ રહેતા હોવાનો ચોક્કસ અભિપ્રાય છે.
વિધાનસભા નહીં ધરાવતા કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પ્રશાસક કે ઉપ રાજ્યપાલે જે તે પ્રદેશના મુખ્યમંત્રી, ગૃહમંત્રી તથા પ્રદેશના વડા તરીકેની ત્રિવિધ ભૂમિકા ભજવવાની હોય છે. સનદી આઈ.એ.એસ. અધિકારી કરતા પ્રજાના પ્રતિનિધિની આ પદ ઉપર નિયુક્તિ કરવાથી પ્રદેશના લોકોની સંવેદનાને સરળતાથી વાચા મળી શકે એવું દમણ-દીવના પ્રયોગ બાદ લાગી રહ્યું છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતથી સાઈડલાઈન કરવા માટે નહીં પરંતુ દમણ-દીવના વિકાસને સીધા પાટા ઉપર ચડાવવા માટે ઉર્જાવાન અને પ્રજા સમર્પિત નેતા એવા શ્રી પ્રફુલભાઈ પટેલને બાગડોર સોંપી હોવાનું સમજાય છે. જે રીતે ‘પુત્રના લક્ષણપારણાંમાંથી અને વહુના લક્ષણ બારણામાંથી’ પરખાય છે એ રીતે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે અખત્યાર સંભાળ્યાના માત્ર 72 કલાકમાં દેશના સર્વોચ્ચ નેતૃત્વની વિના રોકટોક મુલાકાત કરી સાબિત કરી બતાવ્યું છે કે તેમના હૈયે દમણ-દીવનું હિત વસેલું છે અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મુકેલા વિશ્વાસને તેઓ સાર્થક કરશે.
એક્સ્ટ્રા કોમેન્ટ
દમણ અને દીવની સાથે સાથે બહુમતિ આદિવાસી વસતી ધરાવતા દાદરા નગર હવેલીનો વિકાસ રથ થંભી નહીં જાય તેની તકેદારી પણ સરકારે લેવી પડશે. કારણ કે દાદરા નગર હવેલીના લોકો હવે દરરોજ પોતાની તુલના દમણ-દીવ સાથે કરી રહ્યા છે. વર્ષોથી દમણ-દીવ અને દાદરા નગર હવેલીનું એક જ પ્રશાસન અને એક જ પ્રશાસક રહ્યા છે. ત્યારે અન્ય વહીવટી ખર્ચને બચાવવા પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલને બંને પ્રદેશોના ઉપ રાજ્યપાલ તરીકેનો હવાલો સુપ્રત કરી લોકોને સાચી લોકશાહીના પણ દર્શન કરાવે એવી પ્રબળ બની રહેલી માંગ.