દમણ જિલ્લા માહ્યાવંશી સમાજના સ્થાપક વિષ્ણુભાઈ દમણિયાને માહ્યાવંશી રત્નનો મરણોત્તર પુરસ્કાર એનાયત કરાયો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.15 : ‘માહ્યાવંશી વિકાસ મંચ ભારત’ના 23મા જન્મોત્સવની ઉજવણી સંસ્થાના ટ્રસ્ટી અને આગેવાન સમાજ સેવક શ્રી જીતુભાઈ સુરતી-રાજગરીના અધ્યક્ષ સ્થાને ગુજરાત-મુંબઈની બોર્ડર ઉપર મંચ દ્વારા નિર્માણ પામેલ માણેક સાંસ્કૃતિક ભવન ખાતે આનંદ ઉલ્લાસ અને ઉમંગ સાથે કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સમાજનાસંગઠન માટે મનન-મંથન પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે માહ્યાવંશી વિકાસ મંચના સ્થાપક અને મેનેજીંગ ટ્રસ્ટી શ્રી મનહરભાઈ પટેલે 22 વર્ષ દરમિયાન સંસ્થાએ કરેલ વિવિધ સમાજલક્ષી કાર્યક્રમોની વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે દમણ જિલ્લા માહ્યાવંશી સમાજના સ્થાપક અને એમ.વી.એમ.ની સ્થાપનાથી લઈ તેમના મૃત્યુપર્યંત સાથી રહેલા સ્વ. વિષ્ણુભાઈ ફકીરભાઈ દમણિયાને ‘માહ્યાવંશી રત્ન’ પુરસ્કારથી સન્માનિત કરવાનો હેતુ સમજાવ્યો હતો.
પ્રારંભમાં દાદરા નગર હવેલીના સુપ્રસિદ્ધ એડવોકેટ શ્રી કેતનભાઈ પટેલે પોતાના સ્વાગત વક્તવ્યમાં માહ્યાવંશી વિકાસ મંચની યાત્રાની ઝલક દર્શાવી હતી. ટ્રસ્ટી શ્રી વસંતભાઈ પરમાર તથા વડીલ ટ્રસ્ટી શ્રી ઈશ્વરભાઈ ચાવડા અને શ્રી રમેશભાઈ માહ્યાવંશીએ પણ પોતાની શુભકામના પ્રગટ કરી હતી.
સ્વ. વિષ્ણુભાઈ દમણિયાના આકસ્મિક નિધન બદલ બે મિનિટનું મૌન પણ પાળવામાં આવ્યું હતું. સ્વ. વિષ્ણુભાઈ દમણિયાને ‘માહ્યાવંશી સમાજ રત્ન’નો એવોર્ડ તેમની દિકરી શ્રીમતી ચેતનાબેન દમણિયા અને જમાઈ શ્રી વિક્રમભાઈ દમણિયાને માહ્યાવંશી વિકાસ મંચના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી મનહરભાઈ પટેલ, સભાના અધ્યક્ષ અને ટ્રસ્ટી તથા પ્લાનિંગ સમિતિના ચેરમેન શ્રી જીતુભાઈ સુરતી-રાજગરી, મંચના ટ્રસ્ટીઓ, શ્રીમતી કલ્પનાબેન મિષાી વગેરેના હસ્તે સુપ્રત કરાયોહતો.
કાર્યક્રમનું સંચાલન શ્રી હસમુખભાઈ પટેલે કર્યું હતું અને આભાર વિધિ દાદરા નગર હવેલીના પ્રસિદ્ધ એડવોકેટ અને નોટરી શ્રી પ્રકાશભાઈ પટેલે આટોપી હતી. કાર્યક્રમને સફળ બનાવવામાં સાંસ્કૃતિક ભવન નિર્માણના સંયોજક શ્રી જીતુભાઈ મેહતા અને શ્રી મિતેશભાઈ માહ્યાવંશીએ ખુબ જ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
આ પ્રસંગે ગુજરાત મહારાષ્ટ્ર દમણ દાદરા નગર હવેલી તથા સમસ્ત ભારતથી મોટી સંખ્યામાં માહ્યાવંશી સમાજના ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં દમણ જિલ્લા માહ્યાવંશી સમાજના અધ્યક્ષ શ્રી મણિલાલભાઈ કોન્ટ્રાક્ટર, પૂર્વ અધ્યક્ષ શ્રી પીકિનભાઈ કોન્ટ્રાક્ટર, પૂર્વ અધ્યક્ષ શ્રી અનિલભાઈ દમણિયા તથા ભામટી પ્રગતિ મંડળના અધ્યક્ષ શ્રી કિશોરભાઈ દમણિયા શ્રી દિવ્યાંગભાઈ પરમાર સહિતના આગેવાનો પણ સ્વ. વિષ્ણુભાઈ દમણિયાને એનાયત કરેલા ‘માહ્યાવંશી રત્ન’ના સાક્ષી બન્યા હતા.