(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.23 : દાદરા નગર હવેલીના સીલી ગામે આવેલ કેએલજે ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ યુનિટ નંબર 2 કંપની દ્વારા ખુલ્લેઆમ કેમિકલવાળુ પાણી છોડવામાં આવી રહ્યું છે આજુબાજુમાંઆવેલા ખેતરોમાં ભળી જતાં ખેતીની જમીન સહિત પાકને ભારે નુકસાન થઈ રહ્યું છે. આ બાબત ગ્રામજનોએ સરપંચની આગેવાનીમાં તંત્રના લાગતા-વળગતા તમામ અધિકારીઓને લેખિત અને મૌખિક ફરિયાદ કરી છે અને નુકસાનીનું વળતર મળે એવી માંગ કરી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સીલી ગામના આદિવાસી પરિવારના લોકો રહે છે જેઓ ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. સાથે પશુપાલન વ્યવસાય કરે છે કેએલજે કંપની દ્વારા ખેતીવાળી જમીનમાં પ્લાસ્ટિક તેમજ કેમિકલયુક્ત પાણી છોડવામાં આવે છે જેના કારણે માનવી સહિત તમામ જીવજંતુ, પશુ-પક્ષીઓને નુકસાન થવા સાથે શુદ્ધ હવા અને પાણીને નુકસાન થાય એવું ખતરનાક ઝેરી કેમિકલ ખેતરોમાં ખુલ્લેઆમ કંપની દ્વારા છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે ખેતી બરબાદ થઈ રહી છે અને કંપનીની અંદર એક હજાર ફૂટ ઊંડો બોરવેલ બનાવી એમાં પ્રાણઘાતક કેમિકલ છોડવામાં આવે છે જેના કારણે આખા ગામના લોકોને તકલીફ થઈ રહી છે. કંપનીના સંચાલકોને આ બાબતે જણાવીએ તો તેઓ દ્વારા સીધી ધમકી આપવામા આવે છે કે અમારા વિરુદ્ધ તમારે જે કંઈપણ કરવું હોય તે કરો તમે લોકો અમારુ કાંઈ પણ ઉખાડી શકશો નહિ, અને પોલીસતંત્ર સાથે પણ અમારી સારી ઓળખાણ છે. જેથી ગ્રામજનોડરના માર્યા બેસી જાય છે. પ્રશાસન દ્વારા સિલી ગામના લોકોનો જે પ્રશ્ન છે એનો યોગ્ય ઉકેલ લાવવામાં આવે એવી માંગ ઉઠી રહી છે.