જી.પી.સી.બી.એ આઉટલેટ પાણીના સેમ્પલ લઈ તપાસ હાથ ધરી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.13
વાપી નજીક આવેલા ચંડોરના ગ્રામજનો રવિવારના રોજ દમણગંગા નદીમાં ગણેશ વિસર્જન કરવા ગયા હતા ત્યારેનદીમાં મોટા પ્રમાણમાં કેમીકલયુક્ત કલરવાળું પાણી જોવા મળ્યું હતું તેથી ગ્રામજનોએ સરપંચને જાણ કરી હતી. સરપંચે જી.પી.સી.બી.માં ટેલીફોનિક ફરિયાદ કરીને નદીના કલરયુક્ત પાણીની જાણ કરી હતી. તેથી આજે જી.પી.સી.બી.એ પાણીના સેમ્પલો લઈને તપાસ હાથ ધરી હતી.
રવિવારે ચંડોર ગામના ગણેશભક્તો દમણગંગા નદીમાં વિસર્જન કરવા ગયા હતા. ત્યારે નદીનું પાણી મોટા પ્રમાણમાં કલરયુક્ત પ્રદુષિત કેમીકલવાળું જોવા મળ્યું હતું. તેથી ગામના સરપંચ શ્રી રણજીત પટેલે જી.પી.સી.બી.માં ટેલીફોનિક ફરિયાદ કરી હતી તેથી જી.પી.સી.બી.એ દમણગંગા નદીના પટમાંથી સેમ્પલ કલેક્ટ કર્યા હતા અને તપાસ હાથ ધરી હતી.
ઉલ્લેખનીય છે કે, હાલમાં ચોમાસું હોવાથી સી.ઈ.ટી.પી.માંથી ટ્રીટમેન્ટ કર્યા સિવાય વરસાદના પાણીમાં પ્રદુષિત પાણી છોડવામાં આવી રહ્યું છે. મોટા મોટા નાળા દ્વારા પ્રદુષિત પાણી દમણગંગા નદીમાં ચંડોરની હદમાં છોડવામાં આવી રહ્યું છે.
સરપંચ શ્રી રણજીત પટેલે જણાવ્યું હતું કે, સમયાંતરે ગેરકાયદે કેમીકલયુક્ત પાણી છોડવામાં આવે છે. અત્યારે ચોમાસામાં તેનો વધારો જોવા મળી રહ્યો છે. આવા કારણોસર ગામના તળીયાના પાણી પણ પ્રદુષિત થઈ રહ્યા છે. જી.પી.સી.બી. દ્વારા માત્ર સેમ્પલનું નાટક સાબિત નહી થાય તો સારુંજવાબદાર ઉદ્યોગો વિરૂધ્ધ પગલા ભરાશે કે કેમ એ જોવાનું રહ્યું.