(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.16 : દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખી દાનહની મીઠાઈઓની દુકાનોમાંથી ગત દિવસોમાં લેવામાં આવેલ સેમ્પલોના રિપોર્ટને વહેલામાં વહેલી તકે સાર્વજનિક કરવા માટે પ્રદેશ શિવસેના પ્રમુખ શ્રી શ્વેતલ ભટ્ટે સંઘપ્રદેશના આરોગ્ય સચિવને લેખિત રજૂઆત કરી છે.
થોડા દિવસ પહેલાં જ દાનહ જિલ્લાના આરોગ્ય વિભાગના સબંધિત અધિકારીઓએ દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખી પ્રદેશની કેટલીક મીઠાઈની દુકાનોમાંથી સેમ્પલ લીધા હતા, પરંતુ હજુ સુધી આ સેમ્પલનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો નથી. તેથી લોકોમાં ચર્ચાઈ રહ્યું છે કે, રિપોર્ટ દિવાળી પહેલા આવશે કે દિવાળી પછી..? જો રિપોર્ટ દિવાળી પછી આવશે તો ત્યા સુધીમાં તો પ્રદેશના લોકો હજારો કિલો મીઠાઈઓ ખાઈ ચુક્યા હશે. આ સ્થિતિમાં લોકોને કેવી રીતે ખબર પડશે કે કઈ દુકાનની મીઠાઈ મિલાવટવાળી છે કે શુદ્ધ છે? દિવાળીનો તહેવાર માથે છે, પ્રદેશની કેટલીક દુકાનોમાં મીઠાઈ વેચવાની શરૂપણ થઈ ચુકી છે. લોકોના આરોગ્યની સાથે ખિલવાડ નહીં થાય, તે વાતને ધ્યાનમાં લઈ આરોગ્ય વિભાગે તાત્કાલિક અસરથી મીઠાઈના સેમ્પલોનો રિપોર્ટ સાર્વજનિક કરી દેવામાં આવે જેથી લોકોને સચ્ચાઈની ખબર પડે અને શુદ્ધ ગુણવત્તાવાળી મીઠાઈ જ ખરીદી શકે.
દાદરા નગર હવેલી શિવસેના પ્રદેશ પ્રમુખ શ્રી શ્વેતલ ભટ્ટે સંઘપ્રદેશના આરોગ્ય સચિવ શ્રી અરુણ ટી.ને લેખિત અરજી કરી અનુરોધ કર્યો છે કે વહેલામાં વહેલી તકે મીઠાઈઓના લીધેલા સેમ્પલોનો રિપોર્ટ જાહેર જનતા સમક્ષ રજૂ કરવામાં આવે જેથી ગ્રાહકો એ અસમંજસમાં નહીં મુકાય કે મીઠાઈની ખરીદી કરવી કે નહીં..?