આજરોજ તડગામ ખાતે કાંઠા વિસ્તારના ગામડાઓની મળનારી બેઠક માટે ફરતી થયેલી નનામી પત્રિકાથી રાજકીય આગેવાનો દુવિધામાં
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સરીગામ, તા.10: સરીગામ જીઆઇડીસીમાં કાર્યરત કેમિકલ એકમોથી તડગામ, મરોલી તેમજ નારગોલના દરિયાકાંઠાને આડઅસરની સીધી લાઈન દોરાયેલી છે. સરીગામ સીઇટીપીમાંથી નીકળતું ટ્રીટમેન્ટ કરેલું પાણી પાઇપલાઇનના મારફતે તડગામના દરિયામાં એક કિલોમીટર અંદરના ભાગે છોડવામાં આવે છે. આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લાંબા સમયથી કાર્યરત છે. હવે સરીગામ સીઇટીપીની ક્ષમતા 12.50 એમએલડી થી વધારી 25 એમએલડી કરાતા દરિયા સુધી પહોંચતીપાઇપલાઇનની ક્ષમતા પણ વધારવાની ફરજ પડી છે. અને હાલમાં આ કામગીરી ચાલુ કરવામાં આવી છે. જે કામગીરી કાંઠા વિસ્તારની પ્રજાને નજરે પડતા વિરોધ કરવાનો પ્રયાસ કરતી જોવા મળી રહી છે.
સરીગામ જીઆઇડીસીથી તડગામના દરિયા કિનારા સુધી બિછાવામાં આવેલી પાઇપલાઇનનો મુદ્દો નવો નથી આ અગાઉ ઘણી વખત સ્થાનિકોએ ભારે વિરોધ નોંધાવ્યો પરંતુ સ્થાનિક રાજકીય આગેવાનની પરોક્ષ સડોવણીના કારણે સ્થાનિકો સફળ થઈ શકયા નથી. થોડા દિવસ પહેલા જીઆઇડીસીના એમડી સમક્ષ સરીગામ જીઆઇડીસીમાં એન્જિનિયરિંગ ઝોન અને પ્લાસ્ટિક ઝોનમાં પણ કેમિકલ એકમોને પરવાનગી આપવા માટેની ભલામણ ઉદ્યોગપતિઓના હિતમાં ધારાસભ્યશ્રી રમણભાઈ પાટકર દ્વારા કરવામાં આવેલી છે. હજુ સુધી પરવાનગી મળી નથી પરંતુ પરવાનગી મળવાની શકયતા પણ નકારી શકાતી નથી. આ ઉપરાંત પણ ઉમરગામ તાલુકાના નોટિફાઇડ બહારના વિસ્તારમાં પ્રદૂષણ એકમો બે રોકટોક સ્થાપિત થઈ રહ્યા છે. પરંતુ રાજકીય આગેવાનો જનતાના હિતમાં એક પણ શબ્દ ઉદ્યોગપતિઓની વિરુદ્ધ ઉચ્ચારતા નથી એથી ઊલટું જાહેર કાર્યક્રમોમાં આમંત્રિત કરી રાજકીય આગેવાનો પ્રદૂષણ ઓકતા એકમોના માલિકોને સનમાનિત કરતા જોવા મળે છે. આમ વાડ ચીભડા ગળે તો ફરિયાદ કોને કરવીએવી પરિસ્થિતિનું નિર્માણ થયેલું છે. હાલમાં પ્રદૂષણની પાઇપલાઇનનો મુદ્દો ફરી ચર્ચામાં આવા પામ્યો છે. આ કામગીરી ચાલુ કરવા પહેલા પાઇપલાઇનની કામગીરીની દરખાસ્ત, મંજૂરી તેમજ ટેન્ડરિંગની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. આ પ્રક્રિયાથી ગાંધીનગરમાં પ્રતિનિધિત્વ કરતા રાજકીય આગેવાન અજાણ હોય એ માનવામાં આવતું નથી. હવે આવતીકાલની બેઠક ઉપર જનતાના હિતમાં રાજકીય આગેવાનો કેવું વલણ અપનાવે એ જોવું રહ્યું.