‘પ્રધાનમંત્રી આવાસ યોજના’ હેઠળ ‘‘પી.એમ. આવાસ”માં એલોટ થયેલ આવાસો અને માલિકોની યોગ્ય તપાસકરવામાં આવે તો અનેક બનાવટી લાભાર્થીઓનો થઈ શકે છે પર્દાફાશ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.01 : કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આપવામાં આવેલ આવાસનો લાભ યોગ્ય અને જરૂરિયાતમંદ લાભાર્થીને નહીં પણ બોગસ બનાવટી લાભાર્થીઓને મળ્યો હોવાનું ભોપાળુ બહાર આવી રહ્યું છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના બાલદેવી ગામે આવેલ ‘પ્રધાનમંત્રી આવાસ યોજના- શહેરી’ જેનું વર્ષ 2023માં એપ્રિલ મહિનામાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે વિવિધ વિકાસ પરિયોજનાનો શિલાન્યાસ સાથે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ દરમ્યાન પ્રધાનમંત્રીશ્રીએ દીવ અને સેલવાસથી ‘પ્રધાનમંત્રી આવાસ યોજના- શહેરી’ના લાભાર્થીઓને ઘરની ચાવીઓ પણ સોંપી હતી.
હાલમાં સેલવાસ નગરપાલિકા વિસ્તારમાં ‘પી.એમ.એ.વાય.’ અંતર્ગત ફાળવવામાં આવેલ ફલેટ પર કેટલાક ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે. અત્રે યાદ રહે કે, ‘પ્રધાનમંત્રી આવાસ યોજના’નો મુળ ઉદ્દેશ્ય ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને પાકા મકાન ઉપલબ્ધ કરાવવાનો હતો. પરંતુ સેલવાસ નગરપાલિકાના વિસ્તારમાં આ યોજના અંતર્ગત ફાળવવામાં આવેલ ફલેટના લાભાર્થીઓની સંપત્તિ અને સ્થિતિ જોઈને આ યોજનાની પારદર્શિતા પર અચૂક પ્રશ્ન ચિહ્નલાગી રહ્યું છે. કારણ કે આ યોજના વિશેષ રૂપે આર્થિક રીતે કમજોર વર્ગ, ન્યૂનત્તમ આવક ધરાવતો વર્ગ અને અન્ય જરૂરિયાતમંદ વર્ગોને લાભાન્વિત કરવા માટે આ તૈયાર કરવામાં આવી હતી.
મળતી માહિતી પ્રમાણે જે લોકોને સેલવાસ નગરપાલિકા મારફત પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળ્યો છે તેઓ પાસે તો અગાઉથી જ મોંઘા ફોરવ્હીલર વાહનો, ટેમ્પો અને અન્ય ખાનગી ગાડીઓ હતી જ. એવામાં એ પ્રશ્ન ઉભો થાય જ છે કે શું વાસ્તવમાં તેઓ આર્થિક રીતે કમજોર વર્ગ અંતર્ગત આવે છે? જો નહિ તો તેઓને આ યોજનાનો લાભ કેવી રીતે પ્રાપ્ત થયો? એવું પણ નથી કે દરેકની પાસે પોતાના વાહનો છે, પરંતુ કેટલાક લોકો ડ્રાઈવર છે જેઓ એમના માલિકના વાહનો પણ તેમને મળેલા ઘર નીચે કે પરિસરમાં પાર્કિંગ કરે છે. જેથી સંઘપ્રદેશના વહીવટી તંત્ર દ્વારા યોગ્ય અને સાચી દિશામાં તપાસ હાથ ધરવામાં આવે તો નિશ્ચિત રૂપે પ્રધાનમંત્રી આવાસ યોજનાની ફાળવણી ખોટા અને સંપન્ન પરિવારને થઈ એ ભ્રષ્ટાચારનો ખુલાસો થઈ શકે છે.
વધુમાં લોકોમાં એ પણ ચર્ચાઈ રહ્યું છે કે પી.એમ. આવાસ યોજનામાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચારને અંજામ આપવામાં આવ્યો છે. અનેક એવા બોગસ લાભાર્થી છે જેઓ પાસે પૈસા લઈ તેઓને અસલ લાભાર્થી પ્રદર્શિત કરી તેઓને અહીં આવાસ ઉપલબ્ધ કરાવવામાંઆવ્યા છે. જેમાં અનેક અધિકારીઓ અને એમના આધિન કામ કરતા કર્મચારીઓની કરતૂત પણ સામે આવવાની સંભાવના નકારાતી નથી. કેટલાક જરૂરિયાતમંદ લાભાર્થીઓએ આવાસ યોજના અંતર્ગત સરકારી કોષમાં રૂપિયા જમા કરાવ્યા હતા પરંતુ કોઈક કારણવસ આવાસ રદ્ થવા છતાં પણ તેઓને પૈસા પાછા પરત આપવામાં આવેલ નહિ. એ પણ એક તપાસનો વિષય છે. સ્થાનિક નાગરિકોમાં આ બાબતને લઈ ઘણો આક્રોશ પણ છે. તેઓના જણાવ્યા પ્રમાણે આ પ્રકારની અનિયમિતતાઓથી અસલી જરૂરિયાતમંદ પરિવાર આ યોજનાના લાભથી વંચિત રહી ગયા છે. એક સ્થાનિક નિવાસીના જણાવ્યા અનુસાર અમે જોયું છે કે જે લોકોને ફલેટ ફાળવવામાં આવેલ તેઓ પાસે અગાઉથી જ મોટા વાહન, મકાન અને અન્ય સુવિધાઓ છે. આ યોજના ગરીબોના માટે હતી. પરંતુ સુખી સંપન્ન લોકોએ આનો લાભ ઉપાડી લીધો છે અને હવે તેઓ આ આવાસ ભાડા પર આપ્યા છે. પ્રશાસન આવા લોકો સામે કડક કાર્યવાહી કરે એવી બુલંદ માંગ પણ ઉઠી રહી છે.