(વર્તમાન પ્રવાહ, ન્યુઝ નેટવર્ક)
વાપી, તા.30:
મધ્યપ્રદેશના મંદસૌર જીલ્લાથી 8 ટન યાર્ન અને 10 ટન પ્લાસ્ટીક દાણાની છેતરપીંડિ કરનારી ગેંગના 4 ઈસમોને વલસાડ એલસીબી ટીમે વાપીથી ઝડપી પાડયા હતાં. પોલીસે ગોડાઉનમાંથી યાર્ન તથા મોબાઈલ ફોન મળી કુલ રૂા.11,94,154/-નો સરસામાન કબજે કરી વાપી ડુંગરા પોલીસને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
વાપી વિસ્તારમાં એલસીબી વલસાડ પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન એ.એસ.આઈ.અલ્લારખુ અમીરભાઈને મળેલ બાતમીના આધારે પોલીસ ટીમે વાપી નજીકના ડુંગરી ફળિયા, મિલ્લતનગર, સીમા કોમ્પ્લેકસની બાજુમાં ચંદન ટોકીઝની પાસે આવેલ શ્રીનિવાસ યાદવના ગોડાઉન પર પહોંચી હતી. જે બાતમીના આધારે ગોડાઉનમાં હાજરનાઓના નામઠામ પૂછતા (1) શ્રીનિવાસ સત્યનારાયણ યાદવ (ઉં.આ.63, રહે. ચણોદ કોલોની, શાંતિ કો.ઓ.સોસાયટી, વાપી, મૂળ યુપી) (2) મહેતાબ મજીબુલ્લા ખાન (ઉં.આ.36, રહે. લવીસ ગાર્ડન, ડુંગરા, મૂળ યુપી) (3) મોહમ્મદ સમીર સલીમ મનિહાર (ઉં.આ.22, રહે. લવીસ ગાર્ડન, ડુંગરા, મૂળ યુપી) અને (4) મુસ્તાકઅલી ગયાસુદીન ખાન(ઉં.આ.55, રહે. લવીસ ગાર્ડન, ડુંગરા, મૂળ યુપી) હોવાનું જણાવ્યું હતું અને ગોડાઉનમાંથી પોલીએસ્ટર યાર્ન બોરી-141 જેનું વજન આશરે 8440 કિ.ગ્રા. જેની કિંમત 11,84,154/- મળી આવ્યું હતું. જે અંગે કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો. જેથી પોલીસે ચારેય ઈસમોની અટક કરી મોબાઈલ ફોન અને માલસામાન મળી કુલ રૂા.11,94,154/-નો સરસામાન કબજે કરી વાપી ડુંગરા પોલીસને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસે અટક કરેલ ઈસમોને વિશ્વાસમાં લઈ વધુ પૂછપરછ કરતા આ પોલીએસ્ટર યાર્નનો માલ વાપીના શ્રી શ્યામ ટ્રાન્સપોર્ટ કંપનીના માલિક શ્યામવીર સીંગે મોહમ્મદ સમીર સલીમ મનિહાર તથા મહેતાબ મજીબુલ્લા ખાન દ્વારા ગોડાઉનના માલિક શ્રીનિવાસ સત્યનારાયણ યાદવને નીચા ભાવે ખરીદ કરી તેઓની માલિકીના ગોડાઉનમાં ખાલી કરાવેલ અને ગ્રાહક મળે તો ઊંચા ભાવે વેચાણ કરવાના હતાં.
ગોડાઉનમાંથી મળી આવેલ માલની તપાસ કરતા મધ્યપ્રદેશના મન્દસૌર જીલ્લાના કોતવાલી મન્દસૌર પોલીસ મથકમાં માલ અંગેની છેતરપીંડિ થયાની ફરિયાદ નોંધાયેલ હતી. શ્યામવીર સીંગ પાસેથી મોહમ્મદ સમીર સલીમ મનિહાર તથા મુસ્તાક અલી ખાને આજથી અઢી મહિના પહેલા 10 ટન પ્લાસ્ટીકના દાણા બીલ વગરના ખરીદ કરી વાપીના રાજેશ પાંડેને વેચાણ કરેલાની કબુલાત કરી હતી.વોન્ટેડ શ્યામકુમારનો કંપનીમાં ટ્રાન્સપોર્ટર તરીકે ઓળખ આપી ભાડાનો માલ નક્કી કરી ટ્રાન્સપોર્ટ ઓફિસમાં કંપનીની ઓળખ આપી માલ ભરાવી કંપની તથા ટ્રાન્સપોર્ટવાળાઓ સાથે છેતરપીંડિ કરી બારોબાર માલ વેચાણ કરવાની ટેવવાળો છે. મોહમ્મદ સમીર વિરૂદ્ધ સેલવાસ પોલીસ મથકમાં 4 ગુનાઓ નોંધાયેલા છે. આમ, એલસીબી ટીમે છેતરપીંડિ કરનારી ગેંગના ચાર ઈસમોને ઝડપી પાડી ગુનો ઉકેલી કાઢવામાં સફળતા મળી છે.