દમણવાડાના નંદઘર ખાતે 7મા ‘‘રાષ્ટ્રીય પોષણ માસ”નો શુભારંભ અને ‘‘અન્નપ્રાશન દિવસ”ની કરાયેલી ઉજવણી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.02 : આજે દમણવાડા ગ્રામ પંચાયતના નંદઘર (આંગણવાડી) ખાતે 7મા ‘‘રાષ્ટ્રીય પોષણ માસ”નો શુભારંભ અને ‘‘અન્નપ્રાશન દિવસ”ની ઉજવણી સંઘપ્રદેશના મહિલા અને બાળ વિકાસ સચિવ શ્રી ફરમન બ્રહ્માના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી.
આ પ્રસંગે સંઘપ્રદેશના મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવ શ્રી ફરમન બ્રહ્માએ જણાવ્યું હતું કે, 6 મહિના પછીના બાળકના ખોરાકની બાબતમાં માતા-પિતા અને પરિવારે ખાસ કાળજી રાખવી જોઈએ. આંગણવાડી કેન્દ્રોમાં બાળકને વ્યવસ્થિત પોષણ આહાર આપવામાં આવે છે. પરંતુ જ્યારે તે ઘરે જાય છે ત્યારે વેફર, કૂરકૂરે, બિસ્કિટ, ચોકલેટ વગેરેનો ખોરાક બાળકને આપવો નહીં જોઈએ. કારણ કે, આ પ્રકારના ખોરાકની બાળકને આદત પડી જાય છે જેના કારણે બાળકનો વિકાસ થતો નથી.તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, પ્રદેશમાંથી કુપોષણની બદી ત્યારે જ નાબૂદ થઈ શકશે કે જ્યારે બાળકના માતા-પિતા જાગૃત બની તેના આહારમાં બહારની ચીજવસ્તુઓ કરતા પૌષ્ટિક ખાદ્યાન્ન આપવામાં આવે. કુપોષણની સમસ્યા ફક્ત ગરીબ પરિવારના બાળકોમાં જ નથી પરંતુ સાધન-સંપન્ન પરિવારમાં પણ કુપોષિત બાળકો ઉપરોક્ત કારણોસર જોવા મળે છે. તેમણે પ્રશાસન દ્વારા કુપોષણના નાબૂદી માટે શરૂ કરાયેલ અભિયાનની પણ ટૂંકમાં માહિતી આપી હતી.
આ પ્રસંગે દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ આભાર વિધિ આટોપતા જણાવ્યું હતું કે, મોદી સરકાર બાળકના ગર્ભદાનના સમયથી લઈ પ્રસૂતિ અને તે 6 વર્ષનું થાય ત્યાં સુધીની કાળજી લઈ રહી છે. તેમણે જણાવ્યું હતું કે, દાદરા નગર હવેલી અને દમણ-દીવની આંગણવાડીઓમાં આઈ.એ.એસ. અધિકારીઓ આવે અને માતાઓ સાથે વાતચીત કરે તેવી ઘટના ભૂતકાળમાં ભાગ્યે જ બનતી હતી.
પ્રારંભમાં આંગણવાડી સુપરવાઈઝર સુશ્રી શિવાની પટેલે કાર્યક્રમની રૂપરેખા સમજાવી હતી અને આંગણવાડી વર્કર શ્રીમતી નીતા મહેતાએ 6 મહિનાના બાળકોના ખોરાક બાબતે સમજ આપી હતી.
આ પ્રસંગે મહિલા અને બાળ વિકાસ સચિવ શ્રી ફરમન બ્રહ્મા અને સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ નાના બાળકોને અન્નપ્રાશન પણ ખવડાવ્યું હતું.